આને કહેવાય ખરા ગુજરાતી ધંધાદારી, પોતાની આવડતથી સીંગ વેચીને આજે સ્થાપ્યું કરોડોનું સામ્રાજ્ય, એક સમયે રોજના 50 રૂપિયાની કમાણી થતી હતી - Chel Chabilo Gujrati

આને કહેવાય ખરા ગુજરાતી ધંધાદારી, પોતાની આવડતથી સીંગ વેચીને આજે સ્થાપ્યું કરોડોનું સામ્રાજ્ય, એક સમયે રોજના 50 રૂપિયાની કમાણી થતી હતી

આપણે ત્યાં કહેવાય છે કે ગરીબોના કાજુ, એટલે સીંગ. કારણ કે કાજુ ઘણા મોંઘા હોય છે અને સીંગ સસ્તી જેના કારણે ઘણા લોકો સિંગને પણ કાજુની જેમ ખાતા જોવા મળે છે. વળી સીંગ  ગમે તે જગ્યાએ સરળતાથી મળી જાય છે.  જો સીંગનું નામ પડે એટલે સૌ પહેલા સિકંદરની સીંગ જ યાદ આવે.

લગભગ ભાગ્યે જ કોઈ એવું હશે  જેણે સિકંદરની અવનવી ફ્લેવરવાળી સીંગ ખાધી નહીં હોય! પણ લોકોને દાઢે વળગેલી આ સીંગ કેવી રીતે બને છે એ ક્યારેય જોયું નહીં હોય.  ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહેલીવાર સુરેન્દ્રનગર સ્થિત સિકંદર સીંગની ફેક્ટરીએ પહોંચી હતી અને અહીં સીંગ બનાવવાના એક-એક સ્ટેપ અને પ્રોસેસની જાણકારી મેળવી હતી.

એટલું જ નહીં દિવ્ય ભાસ્કરે સિકંદર સીંગના MD અમીનભાઈ લાખાણી સાથે પણ વાતચીત કરી. તેમણે પિતા અકબરઅલી અને માતા શક્કરબેને કરેલા સંઘર્ષની સંપૂર્ણ કહાણી જણાવી. 72 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ખેરાળી ગામેથી સીંગ વેચવાનું શરૂ કરનાર લાખાણી પરિવારે દુનિયાના અનેક દેશોમાં સીંગ પહોંચાડી છે, એ પણ કોઈપણ જાતના બ્રાન્ડ માર્કેટિંગ વગર.

એક સમયે દિવસમાં પચાસ રૂપિયાની સીંગ વેચતા પરિવારે કેવી રીતે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું એ સફર પણ એટલી જ રોમાંચક અને રસપ્રદ છે. સિકંદર સિંગની શરૂઆત સુરેન્દ્રનગરથી 7 કિલોમિટર દૂર આવેલા ખેરાળી ગામથી થઈ હતી. અકબરઅલી નાઝીરઅલી લખાણીએ 13 વર્ષી ઉંમરમાં આઝાદી વખતે 1949માં સીંગ વેચવાની શરૂઆત કરી હતી.આ સમયે અકબરઅલી ખેરાળી ગામથી સુરેન્દ્રનગર ચાલીને જતાં હતા. 5 કિલો વજનના તાંબાના ત્રાંસમાં 5 કિલો સીંગ અને ચીક્કી ભરીને વેચવા જતા હતા. અકબરઅલીને શરૂઆતમાં રેલવેની નોકરી મળતી હતી, પણ તેમણે ઠુકરાવી દીધી હતી. અકબરઅલીને પત્ની શક્કરબેને સાથ આપ્યો હતો. રોજની 5 કિલો સીંગ પણ શક્કરબેને જ બનાવી આપતા હતા. અકબરઅલી ચાલીને સુરેન્દ્રનગરની શેરીઓમાં ફરી ફરીને સીંગ વેચતા હતા.

જેના 13 વર્ષ બાદ 1960માં અકબરઅલી ખેરાળથી સુરેન્દ્રનગર રહેવા માટે આવી ગયા. સુરેન્દ્રનગરમાં શરૂઆતમાં અકબરઅલી પાથરણું પાથરીને સીંગ વેચતા પછી લારી શરૂ કરી. ધંધામાં સફળતા મળતા 1969માં દુકાન ખરીદી. આજે પણ આ જ દુકાનમાંથી બધો વેપાર ચાલે છે. ત્યારે તમારા મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે સીંગની બ્રાન્ડનું નામ સિકંદર જ કેમ રાખવામાં આવ્યું?

તો તમને જણાવી દઈએ કે સીંગની બ્રાન્ડનું નામ સિકંદર એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે અકબરઅલીના મોટા દીકરાનું નામ સિકંદર હતું. મોટો દીકરો સિકંદર ખુદ 16 વર્ષની ઉંમરમાં પિતાના સીંગના ધંધામાં જોડાયો હતો. મોટા દીકરા સિકંદરે સીંગના હોલેસલ બિઝનેસની શરૂઆ કરી હતી.ધંધાને વિસ્તારવા માટે સિકંદરભાઈએ પોતાની ફેક્ટરી ચાલુ કરવાનો વિચાર કર્યો. વર્ષ 1991માં સુરેન્દ્રનર પાસે રતનપર બાયપાસ પર 36 હજાર સ્કવેર ફૂટમાં જગ્યા લઈને સીંગનું પ્રોડક્શન ચાલું કર્યું . 1992માં જૂની મારૂતી વેન ખરીદી જેમાં સીંગનું વેચાણ કરવાનું શરૂ કર્યું.

1995માં અકબરઅલીના નાના દીકરા અમીનભાઈ ધંધામાં જોડાયા. નાનાભાઈ અમીનભાઈ દુકાને બેસતા અને મોટાભાઈ સિકંદર ફેક્ટરી સંભાળતા. અમીનભાઈ બિઝનેસમાં મસાલાસીંગ, હલ્દી દાળિયા-ચણા લાવ્યા. અમીનભાઈના આવ્યા બાદ બિઝનેસનો વ્યાપ ખૂબ વધવા લાગ્યો.

જાણીને નવાઈ લાગશે પરંતુ 45 વર્ષ સુધી સિકંદર સીંગ લૂઝ પેકિંગમાં વેચાતી હતી. છેક 1996માં સિકંદર બ્રાન્ડથી સીંગ વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આજુબાજુના ગામડાના ગ્રાહકો અને વેપારીઓ સીંગ લેવા આવતા હતા. વર્ષ 2003માં સિકંદરભાઈનું ડેંગ્યુના કારણે નિધન થયું હતું. પછી બધી જવાબદારી અમીનભાઈએ ઉપાડી લીધી. 2019માં બીમારીના કારણે અકબરઅલીએ પણ દુનિયામાંથી અલવિદા કહી દીધું.

અમીનભાઈએ સીંગના બિઝનેસને પ્રોફેશનલ ટચ આપ્યો. સિકંદરભાઈનો દીકરો જાવેદ પણ આ બિઝનેસમાં છે. જ્યારે અમીનભાઈના જોડિયા દીકરા હુસૈન અને હસન અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ બિઝનેસ સંભાળે છે. અમીનભાઈના મિત્રની દીકરી શ્રી આચાર્ય બિઝેનેસ ડેવલપર તરીકે જોડાઈ. શ્રી આચાર્યએ હિંગ, જીરા સીંગ, હિંગ જીરા ચણા એડ કર્યા હતા.

સિકંદર સીંગની ખાસિયત તેની ક્વોલિટી છે, જેમાં ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. સીંગ માટેની મગફળી જૂનાગઢ અને પોરબંદરમાંથી ખરીદવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ઉપરાંત ડાયરેક્ટ ખેડૂતો પાસેથી પણ ખરીદી કરવામાં આવે છે. આજે ગુજરાત જ નહીં સિકંદર સીંગ વર્લ્ડ ફેમસ બની ગઈ છે. અમેરિકા, કેનેડા સહિત વિશ્વના 7 દેશોમાં સિકંદર સીંગનું એક્સપોર્ટ થાય છે. કોઈ પણ માર્કેટિંગ વગર હાલ 19 કરોડોનો વાર્ષિક બિઝનેસ કરે છે.
(સૌજન્ય- દિવ્ય ભાસ્કર)

Uma Thakor

disabled