સુરતમાં ફરસાણના વેપારીને ખુશ્બુનો મેસેજ આવ્યો, ‘આવો ત્યારે નાસ્તો લેતા આવજો’ વેપારી લટ્ટુ થઈને નાસ્તો લઈને યુવતીની ઘરે ગયો - Chel Chabilo Gujrati

સુરતમાં ફરસાણના વેપારીને ખુશ્બુનો મેસેજ આવ્યો, ‘આવો ત્યારે નાસ્તો લેતા આવજો’ વેપારી લટ્ટુ થઈને નાસ્તો લઈને યુવતીની ઘરે ગયો

ગુજરાતમાંથી આજ-કાલ હનીટ્રેપના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં યુવતિઓ દ્વારા કોઇ વેપારી કે અન્ય યુવકોને ફસાવવામાં આવે છે અને તેમને બાદમાં બ્લેકમેઇલ કરી પૈસા પડાવવામાં આવે છે. ઘણા મામલા તો એવા હોય છે કે બદનામીને ડરને કારણે કોઇ ફરિયાદ નોંધાવવામાં આવતી નથી. ત્યારે હાલ સુરતમાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસે બે મહિલા સહિત કુલ 6 લોકોની અટકાયત કરી છે. આરોપીઓએ પીડિત વેપારી પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને વધુ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

ઘટનાની વિગત જોઇએ તો, સુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા વેપારી કે જેમની ઉંમર 46 વર્ષ છે તેઓ મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે. લગભગ પંદરેક દિવસ પહેલા તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને મેસેજ મળ્યા બાદ વેપારીએ Hi લખીને મેસેજ મોકલ્યો હતો, જે બાદ સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બૂ હોવાનું જણાવ્યું હતું. ત્યારે વેપારીને આ યુવતિ સ્વામિનારાયણના મેસેજ મોકલતી હતી. બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી.

વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા. 7 એપ્રિલના રોજ બપોરે યુવતીએ વેપારીને કોલ મીનો મેસેજ કર્યો અને તે બાદ વેપારીએ વોટ્સએપ કોલ કર્યો અને ખુશ્બૂએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ. બપોરે એકાદ વાગ્યા આસપાસ વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બૂએ નાસ્તો લઇને આવવાની વાત કરી હતી. ખુશ્બૂએ વેપારીને ડભોલી રોડ ખાતે મનિષનગર માર્કેટ ખાતે આવી કૉલ કરવાનું કહ્યું હતુ. યુવતિના મેસેજ પછી વેપારી બપોરના બે વાગ્યે ખોડિયારનગરથી નાસ્તો લઇ આવ્યા અને મનિષનગર પહોંચ્યા.

જે બાદ યુવતિએ વેપારીને ફ્લેટમાં લઇ જઇને સોફા પર બેસાડ્યા અને પછી ખભે હાથ મૂકીને તે વેપારીને બીજા રૂમમાં લઇ ગઈ. અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી વેપારી સાથે શારીરિક અડપલાં શરૂ કરી દીધા હતા. ત્યારે જ બે યુવકોએ રૂમમાં આવ્યા અને રૂમમાં ઝઘડો શરૂ કર્યો, બાદમાં વધુ બે યુવકો બે રૂમમાં ઘૂસ્યા. તેઓએ વેપારીને એલફેલ બોલી અને માર પણ માર્યો. બાદમાં આ ઠગ ટોળકીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

તેમણે કહ્યુ કે, જો કેસ ન કરવો હોય તો સમાધાન માટે પૈસા ચૂકવવા પડશે. આ બાબતથી વેપારી ડરી ગયા અને તેમણે 10 હજાર રૂપિયા તે લોકોને આપ્યા, જે બાદ આ ગેંગે વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. ત્યારે આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવી અને સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપમાં ફસાવનારી ટોળકીના સભ્યો જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી હતી.

Live 247 Media

disabled