સિંગર સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ મૂસામાં કરવામાં આવ્યા. મૂસેવાલાની અંતિમ યાત્રા તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર નીકાળવામાં આવી હતી.સિદ્ધુ મુસેવાલાની અંતિમ ઝલક માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. દૂર-દૂરથી તેમના ચાહકો ગામમાં પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે સિદ્ધૂ મૂસેવાલા પંચતત્વમાં વિલીન થઇ ગયા. મુસેવાલાના અંતિમ સંસ્કાર તેમના ઘર પાસેના તેમના ખેતરમાં કરવામાં આવ્યા હતા.
સિદ્ધુ મુસેવાલા હવે આ દુનિયામાં નથી. હવે તેમની યાદો જ છે જે દરેક લોકોના મનમાં અને દિલમાં જીવંત રહેશે. 29 મેના રોજ સાંજે સિદ્ધુ મુસેવાલા પર 30થી40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એકમાત્ર પુત્રના મોતથી માતા-પિતાને ભારે આઘાત લાગ્યો છે. દીકરાના અંતિમ સંસ્કાર દરમિયાન પિતાની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમણે પોતાના દીકરાને મુખાગ્નિ આપી હતી. યુવાન પુત્રનો મૃતદેહ પોતાની નજર સામે જોઈને માતા ખૂબ જ રડી રહી હતી.આ ક્ષણ કોઇ પણ માટે મોટો આંચકો છે. આ ક્ષણમાંથી પસાર થવું પરિવાર માટે સરળ નથી.
જણાવી દઇએ કે, સિદ્ધુ મુસેવાલા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમના ગીતોને લાખો વ્યુઝ મળતા હતા. ગાવાની સાથે તેઓ રાજકારણમાં પણ સક્રિય હતા. પરિવાર તેમની માંગણીઓ માટે પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો, પરંતુ મુખ્યમંત્રી ભગવંત માનની ખાતરી પછી, મુસેવાલાના પરિવારજનો સંમત થયા હતા અને સોમવારે મોડી સાંજે પાંચ ડૉક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું. સિદ્ધુ મુસેવાલાની રવિવારે માનસા જિલ્લામાં હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર, આ હત્યાની જવાબદારી કથિત રીતે કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરારે લીધી હતી. બરાર તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક હોવાનું કહેવાય છે. સિદ્ધુની હત્યામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં રશિયન બનાવટની AN-94 એસોલ્ટ રાઈફલનો સમાવેશ થાય છે. સ્થળ પરથી AN-94ની ત્રણ બુલેટ મળી આવી છે. પોલીસનું કહેવું છે કે પંજાબમાં ગેંગ વોરમાં પહેલીવાર AN-94 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.