કલોલના પટેલ પરિવારના સભ્યોની આત્માની શાંતિ માટે કેનેડામાં યોજાઈ પ્રાર્થના સભા, બોર્ડર પાર કરવા જતા ચાર સભ્યોના થીજી જવાના કારણે થયા હતા મોત - Chel Chabilo Gujrati

કલોલના પટેલ પરિવારના સભ્યોની આત્માની શાંતિ માટે કેનેડામાં યોજાઈ પ્રાર્થના સભા, બોર્ડર પાર કરવા જતા ચાર સભ્યોના થીજી જવાના કારણે થયા હતા મોત

કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં રહેતા પટેલ પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ કેનેડા-યુએસ બોર્ટ ઉપર માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા ચારેય મૃતકોની ઓળખ થઇ ચુકી છે. તેમના નિધનના સમાચાર બાદ ડીંગુચા ગામમાં શોકનો માહોલ પણ ફરી વળ્યો છે.

હાલ આ ચારેય મૃતદેહોને કેનેડાથી ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને પરિવારે ભારતની એમ્બેસીમાં મેઈલ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.  તો આ મામલામાં કેનેડા પોલીસે મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જેમાં કેનેડામાં રહેતાં તેમના સગાંઓની સાથે ત્યાંની પોલીસે પુછપરછ કરી છે.

આ  ચારેય મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે કેનેડામાં જ તેમની અંતિમવિધી પૂર્ણ કરવી તે અંગે નિર્ણય લેવાશે. કેનેડામાં વસતા ગુજરાતી સમાજે ચારેય મૃતકો અંગે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પવા ઝૂમ મિટિંગ પર હેમંત શાહ, આશ પટેલ, અનિલ થાનકીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ ચારેય મૃતકો અંગે હજી સત્તાવાર રીતે અધિકારીઓએ પુષ્ટી કરી નથી.

આ ઘટનાની વિગત તપાસીએ તો ડિંગુચા ગામનાં મૂળ વતની 35 વર્ષીય જગદીશભાઈ બળદેવભાઈ પટેલ અને તેમના 33 વર્ષીય પત્ની વૈશાલીબેન, 12 વર્ષીય પુત્રી વિહંગા(ગોપી) અને 3 વર્ષીય પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. ત્યારે કેનેડા-યુએસ બોર્ડર ઉપર મોતને ભેટેલા લોકોમાં આ પટેલ પરિવારના જ ચાર સભ્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે.

કલોલના આ પટેલ પરિવારના ચાર સભ્યો સાથે કુલ 11 લોકો કેનેડાથી 11 કલાક ચાલીને હાડ થીજવતી 35 ડિગ્રી ઠંડીમાં ગેરકાયદેસર રીતે બોર્ડર પર કરી રહ્યા હતા. જેમાંથી ચાર લોકોના આ  ઠંડીના કારણે મોત નિપજ્યા હતા, જયારે અન્ય 7 લોકોને પકડી લેવામાં આવ્યા હતા. આ તમામ લોકો એક એજન્ટ મારફતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો.

કલોલનો આ પટેલ પરિવાર 10  દિવસ પહેલા કેનેડા જવા એક એજન્ટ મારફતે નીકળ્યો હતો. કેનેડા પહોંચીને તમેને પરિવાર સાથે સંપર્ક પણ કર્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઈ સંપર્ક થયો  નહોતો. આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.

Uma Thakor

disabled