રહસ્યમય સંજોગોમાં રાજકોટની આ નામી હોસ્પિટલની 26 વર્ષની નર્સ બાથરૂમમાં બેભાન મળી, સારવાર માટે લઇ ગયા પરંતુ તે દરમિયાન જ નીપજ્યું મોત
દેશભરમાં આત્મહત્યા અને હત્યાના બનાવો વધવા લાગ્યા છે, ગુજરાત પણ આવા કિસ્સાઓમાં હવે અગ્રેસર રહેતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણા લોકો અંગત અદાવતમાં એકબીજાની હત્યા કરી દેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગો અથવા તો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે.
ત્યારે હાલ રાજકોટ શહેરમાંથી પણ એક ચોંકવાનારી ખબર સામે આવી છે. રાજકોટના માધાપર ચોક પાસે આવેલી સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહેલી 26 વર્ષીય નર્સ અલ્પા ભુપતભાઇ જનકાતનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. અલ્પા માધાપર પાસે જ આવેલા વરુણ એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
અલ્પા મૂળ ગીર સોમનાથની વતની હતી અને સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. હોસ્પિટલની બાજુમાં જ તે ફ્લેટ ભાડે રાખી અને અન્ય બે રૂમ પાર્ટનર સાથે રહેતી હતી. ગત રોજ તે પોતાની નોકરી ઉપરથી પરત આવ્યા બાદ નાહવા માટે ગઈ હતી, પરંતુ લાંબો સમય સુધી બાથરૂમમાંથી બહાર ના આવતા તેની રૂમ પાર્ટનર દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તે છતાં પણ ના દરવાજો ખુલ્યો હતો ના કોઈ જવાબ આવ્યો હતો.
જેના બાદ અલ્પાની રૂમ પાર્ટનર અન્ય માળ ઉપર રહેતી વોર્ડનને બોલાવી લાવી હતી અને તેના બાદ બાથરૂમનો દરવાજો તોડવામાં આવતા અલ્પાએ બેભાન હાલતમાં જોવા મળી હતી. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ઘટનાને લઈને પોલીસ પણ ફ્લેટ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના કહેવા મુજબ અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું. જોકે શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યા નથી. અલ્પાબેનના બંને સાથળ પર ચાંભા પડી ગયા હોય તેવા નિશાન જોવા મળ્યા હોય આ નિશાન શાના હોઇ શકે? તે અંગે પણ પોલીસે તપાસ યથાવત રાખી છે.
આ મામલામાં હાલ પોલીસે મૃતક નર્સના ભાઈ અને તેના રૂમ પાર્ટરનાના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લીધેલા નિવેદનોમાં તેમને કોઈ તકલીફ હોવાનું પણ સામે આવ્યું નથી. આ મામલામાં અલ્પાના પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવાયા હતા અને મોતનું કારણ જાણવા વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવે તેવી સંભાવના છે.