ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, આર્થિક તંગી, માનસિક હેરાનગતિ, ઘરકંકાસ પછી અન્ય કોઇ કારણોસર આપઘાતના કિસ્સા સામે આવે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ બે પ્રેમી લિવ ઇનમાં રહેતા હોય તો તેઓ પણ કોઇ વાતે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક પ્રેમી યુગલના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.
સુરતના મહુવાના પરણિત અને લીવ-ઇનમાં રહેતા પ્રેમી યુગલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વહેવલ ગામની 23 વર્ષીય પરણિત યુવતી અને વલવાડા ગામનો 33 વર્ષીય પરિણીત યુવાન પ્રેમ સંબંધમાં 2 વર્ષ પહેલાં ભાગી ગયા હતા અને બાદમાં લિવ ઇનમાં રહેતા હતા. ત્યારે ગતરોજ મોડી રાત્રે બંનેએ કોઈક કારણોસર વલવાડા ખાતે ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસ ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બંને પરિણીત હોવાનું સામે આવ્યું હતું.
મહુવા તાલુકાના વહેવલ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીએ અમદાવાદનાં યુવક સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના એક મહિનામાં જ તે પરત ઘરે આવી અને વલવાડા ગામે રહેતા 33 વર્ષીય પરિણીત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને બે વર્ષ પહેલાં મહુવાથી ઘર પરિવાર છોડી ભાગી ગયા હતા. અને તે બાદ અચાનક વહેલી સવારે વલવાડા ગામે ગામતળ ફળિયામાં અંકોલાનાં ઝાડ ઉપર બંનેની લાશ મળી આવી હતી.
મૃતદેહો મળી આવતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. જો કે, ઘટનાની જાણ મહુવા પોલીસને થતા તે સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ તો પ્રેમી યુગલે કયા કારણોસર આપઘાત કર્યો તે સામે આવ્યુ નથી.