હાલમાં તો સમગ્ર દેશમાં જો કોઇ કેસની ચર્ચા ચાલી રહી છે તો તે છે દિલ્લીના મહરોલીનો શ્રદ્ધા વોકર હત્યાકાંડ. શ્રદ્ધાની તેના જ લિવ-ઇન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી અને તે બાદ તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા. આરોપી આફતાબ અમીન પૂનાવાલા હાલ પોલિસ કસ્ટડીામાં છે. આ કેસમાં ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે, ત્યારે આરોપીની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે તે મે મહિનામાં ઘાની સારવાર કરાવવા તેમની પાસે ગયો હતો. આ જ મહિનામાં શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી.
ડૉક્ટર અનિલ કુમારે જણાવ્યું કે જ્યારે પૂનાવાલા તેમની પાસે સારવાર માટે આવ્યો ત્યારે તે ખૂબ જ આક્રમક અને બેચેન હતો અને જ્યારે તેમણે તેને ઈજા વિશે પૂછ્યું તો આરોપીએ જણાવ્યું કે ફળ કાપતી વખતે તેને ઈજા થઈ હતી. ડોક્ટરે આફતાબ સાથેની વાતચીતની સંપૂર્ણ વિગતો આપી છે. ડૉ. અનિલ કુમારે આજતકને જણાવ્યુ કે આ દિવસે આફતાબ ખૂબ જ આક્રમક અને બેચેન લાગતો હતો. તેણે કહ્યું, “આફતાબ મે મહિનામાં સવારે આવ્યો હતો. તેના હાથ પર ઘા હતો.
જ્યારે મેં તેને પૂછ્યું કે ઈજા કેવી રીતે થઈ તો તેણે કહ્યું કે ફળ કાપતી વખતે થયું. તે સમયે મને કોઈ શંકા નહોતી કે તેણે આટલો મોટો ગુનો કર્યો હશે. ડૉક્ટરે આગળ કહ્યું, “તેને જોઈને એવું લાગતું નહોતું કે તે કોઈ વાતથી ડરતો હતો કે ગભરાઇ રહ્યો નહોતો.તે મારી આંખોમાં જોઈને વાત કરી રહ્યો હતો અને ગભરાયા વગર જવાબ આપી રહ્યો હતો. તે અંગ્રેજીમાં વાત કરતો હતો. તેણે એ પણ જણાવ્યું કે તે આઈટી સેક્ટરમાં સારી નોકરીની શોધમાં મુંબઈથી દિલ્હી આવ્યો છે.
જણાવી દઈએ કે મે મહિનામાં જ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપ છે કે તેણે મૃતદેહના ટુકડા કરી દિલ્હીના અલગ-અલગ ખૂણામાં મૂકી દીધા હતા. એવું માનવામાં આવે છે કે આ ઘા તે જ સમયે થયો હતો જ્યારે તે શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા કરી રહ્યો હતો.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ત્રણ મહિના સુધી મૃતદેહના ટુકડા ઘરમાં રાખ્યા હતા.
તે ધીમે ધીમે રાત્રે બહાર ગયો અને તેમને ઠેકાણે લગાવતો રહ્યો. પોલીસને નજીકના જંગલમાંથી કેટલાક હાડકાં મળ્યા છે. મંગળવારે દિલ્હી પોલીસ આરોપીને લઇને છતરપુરના જંગલમાં ગઈ, જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા હતા.