રાજ્યમાં ઠેર ઠેર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ એવો જ એક ગમખ્વાર અકસ્માત મહુધા તાલુકાના મંગળપુર પાટીયા પાસે મંગળવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. અહીંયાથી પસાર થતી ઈકો કાર (નં. GJ-17-AH-0158) નડિયાદ તરફ આવી રહી હતી. ત્યારે સામેથી પુરપાટે આવતાં અજાણ્યા ટ્રેલરે ઉપરોક્ત કારને ટક્કર મારી હતી. આથી કાર ફંગોળાઈને રોડની સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો.
ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓને કાળ ભરખી ગયો છે. અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિઓના નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જ્યારે કાર ચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે.
તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની એક જ પરિવારના સગાસંબંધીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ લોકો ઈકો કાર લઈને આણંદના મલાતજ ગામે મેલડી માતાજીના દર્શને જતાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કાર ચાલકની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ કારમાં સવાર 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 વ્યક્તિઓને એમ્બ્યુલન્સ મારફતે તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બે વ્યક્તિઓના ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતાં તેઓનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
આમ આ અકસ્માતમાં 4 વ્યક્તિઓને કાળ ભરખી ગયો છે. જ્યારે કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ નડિયાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાના પગલે ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું.
કાર ચાલકે પોલીસ સમક્ષ આપેલ નિવેદનમાં તેણે જણાવ્યું છે કે, તેઓ તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની છે અને તમામ લોકો એક જ પરિવારના સગા સંબંધીઓ થાય છે. તમામ લોકો મંગળવાર ભરવા સંતરામપુરથી નીકળી આણંદના મલાતજ ગામે આવેલ મેલડી માતાજીના દર્શને જતાં વચ્ચે રસ્તામાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે કાર ચાલક જીતુભાઈ ભુલાભાઈ ભોઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે