માતૃભૂમિની રક્ષા કરવા ખાતર આપણા દેશના બહાદુર જવાનો ખડેપગે સરહદ ઉપર પહેરો આપે છે, ઘણીવાર આતંકીઓ સાથેની અથડામણમાં તે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દેતા હોય છે, અને દેશની રક્ષા કરે છે. બે દિવસ પહેલા જ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા નાના એવા વણઝારીયા ગામનો એક યુવાન હરિશસિંહ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયો હતો.
ગઈકાલે શહીદનો પાર્થિવ દેહ માદરે વતન લાવવામાં આવ્યો અને ત્યાંથી ભાવ વિભોર કરી દેનારા દૃશ્યો પણ સર્જાયા હતા. શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.જેમાં માનવ મહેરામણ શહીદને અંતિમ વિદાય આપવા માટે પહોચેલું જોવા મળી રહ્યું છે.
શહીદ હરિશસિંહની ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી, તેનો પરિવાર પણ તેના લગ્નની રાહ જોઈ રહ્યો હતો. ગયા વર્ષે જ તેમની સગાઈ પણ કરી દેવામાં આવી હતી, અને તેમના લગ્ન પણ લેવાના હતા, પરંતુ કોરોનાના કારણે ગણતરીના મહેમાનોને જ છૂટછાટ મળવાના કારણે તેમને આ લગ્ન મોકૂફ રાખ્યા હતા. જેના બાદ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન લેવાનું નક્કી પણ કરવામાં આવ્યું હતું.
હરિશસિંહે તેમના પરિવારને જણાવ્યું હતું કે કોરોના ઓછો થઇ જાય બાદ તે ધામધૂમથી લગ્ન કરશે અને ત્યારે તે પોતાની ફરજ ઉપર પરત ફર્યા હતા અને જયારે હવે તેઓ પરત ફર્યા ત્યારે તિરંગામાં લપેટાઈને આવ્યા. હરિશસિંહના શહીદ થવાનું દુઃખ તેમના પરિવારજનોને ચોક્કસ છે, છતાં પણ દીકરાએ માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું એ વાતનું ગર્વ પણ તેમને છે.
View this post on Instagram
શહીદ હરિશસિંહની મંગેતર પણ આ સમયે કલ્પાંત કરતી જોવા મળી હતી, શહીદનો પાર્થિવ દેહ આવવાની સાથે જ તેની ચીસ નીકળી ઉઠી હતી, આ દરમિયાન ઘણા કરું દૃશ્યો પણ સર્જાયા હતા. આસપાસ રહેલા લોકોની આંખો પણ આંસુઓથી ભીની થઇ ગઈ હતી. જે યુવકના નામનું પાનેતર ઓઢવાનું હતું તે યુવકને તિરંગામાં લપેટાઈને આવેલો જોઈને હૈયું કંપારી દે તેવું હરીશસિંહની મંગેતરનું રુદન જોવા મળ્યું હતું.