ગઈકાલે મોરબીમાં ઘટેલું દુઃખદ ઘટના હજુ પણ આંખો સામે ઉભી રહી જાય છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો મોતને ભેટ્યા, આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં દુર્ઘટના સ્થળનો નજારો જોઈને લોકોના હૈયા પણ હચમચી જાય. એક સાથે આટલા બધા લોકોના મોતની ખબર સાંભળીને પરિવાર જનોના હૈયા પણ હચમચી ગયા છે અને સૌનું હૈયાફાટ રુદન પણ સામે આવી રહ્યું છે.
આ દરમિયાન મોતને ભેટેલા ઘણા પરિવારોની આપવીત પણ સામે આવી રહી છે જે હૃદયને હચમચાવી રહી છે. ત્યારે એવી જ કાળજું કંપાવી દેનારી કહાની હાલ સામે આવી રહી છે, જેમાં એક પરિવારની 6 દીકરીઓના મોતને પગલે પરિવારનો માળો વેરવિખેર થઇ ગયો છે. 6 દીકરીઓમાં નણંદ ભાણેજ હતા જે દિવાળીની રજાઓ મનાવવા માટે મોરબીમાં આવ્યા હતા.
એક જ પરિવારના 36 લોકો રવિવારની રજા હોવાના કારણે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. પરંતુ તેમાંથી 30 લોકો જ ઘરે પરત ફર્યા અને 6 દીકરીઓની લાશ આવી. આ ઘટનાએ જ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી છે. એ પણ માહિતી સામે આવી રહી છે કે મોતને ભેટેલી એક દીકરીની તો એક મહિના બાદ જ સગાઈ પણ હતી.
આ દુર્ઘટનામાં 30 લોકોના માંડ જીવ બચ્યા હતા, પરંતુ 6 દીકરીઓને કાળ ભરખી ગયો, ત્યારે આ ઘટનાને લઈને પરિવારમાં પણ પ્રસાશન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પણ આ દુર્ઘટનામાં ઘણા પરિવારો વેર વિખેર થઇ ગયા છે. કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના વ્હાલ સોયા સ્નેહી સ્વજનો ગુમાવ્યા છે તો ક્યાંક આખો જ પરિવાર મોતને ભેટ્યો છે.