ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઇન્ડસ્ટ્રીને એક મોટી ખોટ રાજુ શ્રીવાસ્તવના રૂપમાં પડી, રાજુ શ્રીવાસ્તવનો 41 દિવસની સતત સારવાર બાદ પણ જીવ બચાવી શકાયો નહોતો, હજુ તેમની અંતિમ વિદાયની યાદો સુકાઈ નહોતી ત્યાં વધુ એક દુઃખદ સમાચાર સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યા છે. ફિલ્મ નિર્માતા અને રેડિયો અને ટીવી કમર્શિયલમાં પોતાનો અવાજ આપવા માટે જાણીતા એસવી રામનનનું 26 સપ્ટેમ્બરની સવારે નિધન થયું હતું.
87 વર્ષના એસવી રામનન પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા સુબ્રમણ્યમના પુત્ર હતા. તેમણે તેમના પિતાની મદદથી તેની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં અનેક રેડિયો અને ટેલિવિઝન જાહેરાતોમાં કામ કર્યું. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ અને સેલેબ્સ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એસવી રામનનને આજે અંતિમ વિદાય આપવામાં આવશે.
તેમને નાટ્યકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય એસવી રામનન પોતાના સોનેરી અવાજથી જાહેરાતોમાં પ્રાણ પૂરતા હતા. 80 અને 90 ના દાયકામાં, તેમણે રેડિયો કમર્શિયલથી લઈને ટેલિવિઝન સુધીની ઘણી જાહેરાતોમાં તેમના અવાજથી ઘણી બ્રાન્ડ બનાવવામાં મદદ કરી.
તેમને 1983માં વાયજી મહેન્દ્ર અને સુહાસિની અભિનીત ફિચર ફિલ્મ ‘ઉરુવંગલ મરાલમ’ માટે ગીતોનું દિગ્દર્શન તેમજ કંપોઝ કર્યું હતું. આ ફિલ્મમાં શિવાજી ગણેશન, કમલ હાસન, રજનીકાંત અને જયશંકર જેવા ઘણા જાણીતા કલાકારોએ મહેમાન ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમણે ઘણી અન્ય ડોક્યુમેન્ટ્રી અને સિરિયલોનું પણ નિર્દેશન કર્યું છે.
જો તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, એસ.વી. રામનનના પરિવારમાં તેમની પત્ની બામા રામનન અને પુત્રીઓ લક્ષ્મી અને સરસ્વતી છે. જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર તેમના પૌત્ર છે. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ અને સેલેબ્સ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના અકાળે નિધનથી તેમના ચાહકો પણ શોકમાં છે.